Press "Enter" to skip to content

એસી નો વધતો વપરાશ: શું આગામી સમયમાં ભારત પર ઘેરાશે વીજળીનું મોટું સંકટ?

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતા એર કંડિશનર આગામી દિવસોમાં આખા દેશને અંધકાર તરફ ધકેલી શકે છે. એક તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં એસીની સતત વધતી માંગને કારણે ભવિષ્યમાં વીજળીની ભયંકર અછત સર્જાઈ શકે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીને અડીને આવેલા હાઇટેક સિટી ગુરુગ્રામ જેવા વિસ્તારોમાં કલાકો સુધી પાવર કટ જોવા મળ્યો હતો, જેના કારણે મેટ્રો સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ‘ઇન્ડિયા એનર્જી એન્ડ ક્લાઇમેટ સેન્ટર’ના એક વર્કિંગ પેપર અનુસાર, ભારતમાં વીજળીની માંગ તેના રેકોર્ડ પીક પર પહોંચી રહી છે અને તેનું મુખ્ય કારણ એસી ખરીદનારા ગ્રાહકોની વધતી સંખ્યા છે. હાલમાં ભારતમાં એસીના કારણે એક ક્વાર્ટરમાં 60 થી 70 ગીગાવોટ (GW) વીજળીની જરૂર પડે છે. જો ઉર્જા ક્ષમતા અંગે કોઈ કડક ગાઇડલાઇન્સ બનાવવામાં નહીં આવે, તો વર્ષ 2035 સુધીમાં આ માંગ બમણી થઈને 120 GW સુધી પહોંચી શકે છે.

અહેવાલ દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે 10 થી 15 મિલિયન એસી વેચાય છે અને 2035 સુધીમાં દેશમાં કુલ એસીની સંખ્યા 130 થી 150 મિલિયન સુધી પહોંચી જશે. સરકાર ‘સૂર્ય ઘર’ જેવી સોલર યોજનાઓ દ્વારા દિવસ દરમિયાન વીજળીની માંગને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સાંજ પછી જ્યારે સોલર પેનલ કામ નથી કરતી, ત્યારે પાવર ગ્રીડ પર અતિશય લોડ વધી જાય છે.
સંશોધકોના મતે, આ મોટી મુશ્કેલીથી બચવા માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા એસી માટેના ‘મિનિમમ એનર્જી પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ’ વધુ કડક કરવા જોઈએ. જો આ નિયમો સુધારવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ એર કંડિશનર્સ રાત્રિના સમયની કુલ વીજળીની માંગનો ત્રીજો ભાગ એકલા જ વાપરી નાખશે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!