અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી અંધશ્રદ્ધાની જડ નેસ્તનાબૂત થઈ રહી નથી. ભારતમાં જ નહિ, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળી રહી છે. અંધશ્રદ્ધાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. માત્ર વર્તમાન સમયમાં જ આ વિકૃતિ છે, તેવું પણ નથી અનાદિ કાળથી કોઈને કોઈ બાબતે માનવી તર્ક સંગત ન હોય તેવી અગણિત બાબતોમાં આંધળુંકીયા કુદી પડતો આવ્યો છે. આપણા વ્યક્તિગત જીવનમાં, સમાજ જીવનમાં અને અસંખ્યાત ધાર્મિક સ્થળોએ અંધશ્રદ્ધાની પ્રગાઢ અસરો જોવા મળે છે. લોકોની મજબુરી, લાચારી, લાગણી અને અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી અંધશ્રદ્ધા જાહેરમાં શ્રદ્ધાના વસ્ત્રો ધારણ કરી બિનધાસ્ત બેફિકરાઈથી ફરે છે.
– બોડેલીમાં તાંત્રિકે 5 વર્ષની બાળકીની બલિ ચડાવી
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ આપવાની ઘટના સામે આવી છે. બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી અને આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા હતા . જો કે તાંત્રિકના હાથમાં કુહાડી હોવાથી કોઇ પણ માસૂમ બાળકીને બચાવવા આગળ ન આવી શક્યું અને તાંત્રિકે તેની બલિ ચડાવી દીધી.
– સુરતમાં વિધિના બહાને દુષ્કર્મ આચર્યું
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભૂવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભૂવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ભૂવાને ઝડપી પાડ્યો છે.
– અંધશ્રદ્ધા કે કાળા જાદુ માટે 7 વર્ષ સુધીની સજા
ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરતા આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. હવે અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થઇ રહી છે . મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, કર્ણાટક,છત્તીસગઢ અને આસામમાં પણ અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદો અમલમાં છે. ગુજરાત આ પ્રકારનો કાયદો બનાવનારું 7મું રાજ્ય બન્યું હતું .
– કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ
બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા , ગીર સોમનાથમાં પોતાની 14 વર્ષની દિકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી ખેતરમાં દિકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી, બાદમાં દાજેલી દિકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખ્યા બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું, અરવલ્લીમાં ડાકણ હોવાનો વહેમ રાખી 70 વર્ષિય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા ,સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને શારીરિક શોષણ કરી, ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવા સહિતની ઘટનાઓ પણ ધ્યાને આવી છે.
– વિજ્ઞાન જાથા લોકોને કરે છે જાગૃત
ભારત જન વિજ્ઞાન જાથા રાજકોટ અને અમદાવાદ શાખા ઉપરાંત તેમની સાથે સંકળાયેલી 14 જેટલી ઉપશાખા મારફત જાગૃતિ લાવવા માટે શાળા-કૉલેજ અને જાહેરસ્થળોએ કાર્યક્રમો યોજ્યા છે. ‘ચમત્કારોથી ચેતો’ નેજા હેઠળના કાર્યક્રમો દરમિયાન ભારત જન વિજ્ઞાન જાથાના સભ્યો, નાળિયેરમાંથી ચૂંદડી, સોનું કે શીશું નીકળવું, ચિઠ્ઠી વાંચવી, હાથમાંથી કંકુ ઝરવું, ગ્લાસમાંથી ગંગાજળ નીકળવું, આપોઆપ અગ્નિ પ્રગટ થવો, ઊકળતા તેલમાં હાથ નાખીને પૂરી કાઢવી, શરીર પર અગનજ્વાળાઓ ફેરવવી, લિંબુમાં દોરો પોરવવાથી રંગ બદલવો, ઈંડાની કરામત, ઉર્દૂ કે અરબીમાં અક્ષર દેખાવા, આગ પર ચાલવું જેવા કથિત ચમત્કારોથી પ્રભાવિત ન થવા લોકોને સતર્ક કરે છે.
– શ્રદ્ધા અપંગ બની ત્યારે અંધશ્રદ્ધા પગભર બની
જે વિચાર અને વર્તનમાં પ્રગટ થાય છે તે અંધશ્રદ્ધા છે. જે બાબતો તર્ક સંગત ન હોય, તેવી આસ્થા તેને અંધશ્રદ્ધા કહેવાય. આ અંધશ્રદ્ધાઓ ધાર્મિક સાંસ્કૃતિક કે વ્યક્તિગત હોઈ શકે. ધાર્મિક અંધશ્રદ્ધા તો અગણિત જોવા મળે છે. અને ખાસ કરીને આપણા જેવા ગરીબ, અભણ દેશમાં ડગલે ને પગલે ધાર્મિક અંધશ્રદ્ધા આપણને દેખાય છે. આપણામાંથી મોટાભાગના કોઈને કોઈ અંધશ્રદ્ધાનો શિકાર બની જ ગયા હોય છે. કોઈ જ્વલ્લે જ આવી એક યા બીજા પ્રકારની અંધશ્રદ્ધા વગરનો હોઈ શકે.
BY KALPESH MAKWANA ON 11TH MARCH , 2025